Saturday 21 May 2016

‘આહીર’ આભીર ' ભારુયાડ' કે 'ભરવાડ 'શબ્દની ઓળખ

આહીર એટલે અહિ + ઈર એટલે અહીર જેનો અર્થ થાય છે, અહિ(નાગ)ને ધ્રુજાવનાર(ઈર) એટલે આહીર. અન્ય મત મુજબ ગુજરાતી ભાષામાં ‘ર’ પ્રત્યય સાથે રહેનાર માટે લાગતો હોય અહિ(નાગ) સાથે રહેનાર આહીર કહેવાયા. જેમ કે લોહા સાથે રહેનાર લોહાર, સોના સાથે રહેનાર સોનાર, કુંભ સાથે રહેનાર કુંભાર વગેરે. આ ઉપરાંત અહીર શબ્દ સંસ્કૃત શબ્દ ‘અહૈરી’ પરથી ઉતરી આવેલ હોય ‘અહૈરી’ એટલે શિકાર કરવો એવો તેનો અર્થ થાય છે. જોકે આ મંતવ્ય આહીર કોમની રહેણીકરણી જોતા બંધ બેસતું લાગતું નથી. 
ચંદ્રવંશી રાજા નહુષ બ્રાહ્મણોથી શ્રાપિત થતા સર્પયોનીમાં પડ્યા. જ્યાં પાંચ નાગકન્યાઓ સાથે લગ્ન કરતા તેના અહીનંદ નામે મહાપ્રતાપી પુત્ર નાગલોકમાં મોટા થતા તેના વંશજો અહીર કહેવાયા.ભગવાન શ્રીકૃષ્ણે કાલીય નાગને નાથતા તથા શેષનાગના અવતાર શ્રીબલરામ સાથે તેઓ રહેતા હોય તેઓ અહીરનંદ તરીકે પણ ઓળખાય છે. આહીર શબ્દ ‘આભીર’ પરથી ઉતરી આવેલ હોવાનું પણ એક મંતવ્ય જોવા મળે છે. આભીર એટલે આભા (પ્રભાવ)ને ‘ર’નો પ્રત્યેય લગાવતા આભીર થતા ભીરૂતા વગરના નિર્ભય યદુવંશીઓ આભીર કહેવાયા.

હકીકતમાં ગોવર્ધનપૂજા વખતે આભ(વાદળ)ના દેવ ઇન્દ્રને હરાવનાર શ્રીકૃષ્ણ વિશેષ આભા (પ્રભાવ) વાળા ગણાયા. એટલું જ નહીં ઇન્દ્રના કોપરૂપે વરસતા બારેમેધની પણ પરવા ન કરનારા ગોકુળના યાદવો ભય વગરના ગણાતા આભીર ગોપ કે ભરવાડ (ગોવાળીયા) ગોપાલ તરીકે ઓળખાયા. યદુવંશી યાદવો અને નાગ પ્રજા સાથે રહેવા ઉપરાંત જરૂર જણાયે નાગ પ્રજાને યુદ્ધમાં ધ્રુજાવતા યદુવંશીઓ અહીર તરીકે ઓળખાયા હોવાની વાતને વિશેષ સમર્થન મળે છે.

ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદે ઇ. સ. 1937માં પ્રસિદ્ધ કરેલ સાર્થ જોડણીકોશમાં આહીર શબ્દને પુ. ગણી સંસ્કૃત શબ્દ આભીર ઉપરથી ઉતરી આવેલો ગણાવેલ છે, જેમાં આહીર એટલે ‘હીર’ વાળી કોમ કે પ્રજા ગણાવી તેનો અર્થ માં હીર(હિર નહીં) એટલે સત્વ, સંત, દૈવત, વિર્ય, પ્રેમ, હિંમત, નૂર, શાખ, રેશમ, કિંમત, પાણિ-બળ, તેજ, કીર્તિ, ક્રાંતિ વગેરે દર્શાવી આહીર શબ્દની ભવ્યતા દર્શાવી છે. જોકે આજકાલ અંગ્રેજી જોડાક્ષર ‘AHIR’ પરથી આંધળું અનુકરણ કરી ગુજરાતી બારાક્ષરી પ્રમાણે ‘આહિર’ લખનારા આહીર શબ્દની ગરિમા ન જળવાતા ગૌરવભંગ કરે છે. તેથી આવા ભૂલ ભરેલ શબ્દ પ્રયોગથી આહીર શબ્દનું ગૌરવ જળવાતું ન હોઈ ખોટી શબ્દ જોડણીથી દૂર રહેવું જોઈએ.

ગોંડલના રાજા ભગવતસિંહજીએ રચેલ ‘ભગવત્ ગો મંડળ’માં આહીર શબ્દ સંસ્કૃત ભાષાના આભીર શબ્દ ઉપરથી ઉતરી આવેલ હોવાનું ગણાવી શ્રીકૃષ્ણ સાથે મથુરાથી નીકળી પંચનદ પ્રદેશ, સિંધ થઈ કચ્છ-સૌરાષ્ટ્રમાં આવી વસેલી પ્રજા આહીર, ગોપ, ભરવાડને ગણાવેલ છે.
આભ (વાદળા)ના દેવને ધ્રુજાવી દેનારા ઇન્દ્રની અમાપ શક્તિ સામે અભય, નિર્ભય, ભીરૂતા વગરના શ્રીકૃષ્ણના આધારવાળા વ્રજવાસી ગોપ આભીર  કે ભરવાડ કહેવાયા. તો કેટલાક યદુવંશી પ્રજા સમુહે લોકોથી દૂર પશુપાલન અર્થે વનવગડાઓમાં પશુઓ સાથે રાતના કે સંકટ સમયે વાડોમાં ભરાયને રહેતા તે ભારૂયાડ કે ભરવાડ  (વાડમાં ભરાયને રહેતા) તરીકે ઓળખાયા હોવાનું માનવામાં આવે છે.

શ્રીમદ્ ભાગવત તથા વિષ્ણુ પુરાણ મુજબ પહાડોરૂપી વાડથી પશુઓનું રક્ષણ કરતા હોય સંભવ છે  વનવગડામાં પહાડોરૂપી વાડ વચ્ચે નેસડાઓ બનાવી યદુવંશીઓ કાળક્રમે બોલચાલની(પ્રાકૃત) ભાષામાં વાડોમાં ભરાઈને રહેનારા ભરવાડ તરીકે ઓળખાયા હોય એવુ મનાય છે.
આહીર, અને ભરવાડ સામાજીક રીતે એકબીજા સાથે સામાજીક રીતે સંકળાયેલા હતા, તે અંગેનો ઐતિહાસીક પુરાવો વાળીનાથ મહાદેવ, થરા ખાતે થયેલા સમૂહ લગ્નના બારોટોના ચોપડામાં થયેલા ઉલ્લેખો પરથી જોવા મળે છે.
આભીર/ત્રૈકૂટક સંવત 1165માં વાળીનાથ થરા મુકામે બ્રાહ્યણ અને યજ્ઞની સાક્ષીએ જસરાજ ઝાઝાવડાના પ્રમુખ સ્થાને આહીર, અને ભરવાડ જ્ઞાતિએ સાથે મળી સમાજીક નિયમો બનાવી જાહેર કરવા સાથે વાળીનાથ મહાદેવ, થરામાં આહીર, અને ભરવાડે એક માંડવે સમૂહલગ્નનું આયોજન કરેલ.
આસો સંવત અગીયાર સાલ પાંસઠ સવે; માસ વૈશાખ મધે તિથિ એકાદશી તવે. રેવતી નક્ષત્ર વાર રવિ મહાજગન મંડે; એકસોને વિપ્ર આઠ ખોજ ખેડાવા ખંડે.
પંચ કર્યો પરિયાણ પાણ એમ સહુ ઓચરે; સવાસોમણ ગ્રથ ધારા પર ઝાઝો હવન ધરે.
આચાર્ય હેમચંદ્રસૂરિએ સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત ભાષામાં ઇસુની બારમી સદીની શરૂઆતમાં રચેલ ‘દ્દયાશ્રય’ ઇતિહાસ કાવ્યમાં વનરાજ ચાવડા વનવગડામાં ભરવાડો સાથે ઉછરી મોટો થયેલો. તથા તેના મિત્ર તરીકે અણહિલ્લ આભીર(ભરવાડ )ને તેનો મિત્ર દર્શાવેલ છે. વનરાજ ચાવડાએ સત્તા પ્રાપ્ત કરતા આભીરો અને મિત્ર અણહીલ્લ ભરવાડ નું ઋણ ચૂકવવા પોતે વસાવેલ શહેરનું નામ અણહિલપુર પાટણ રાખ્યું હતું. આચાર્ય જીનપ્રભસૂરીએ ઇ. સ. 1241 રચેલ ‘વિવિધતીર્થકલ્પ’ ગ્રંથમાં અણહિલપુર પાટણની સ્થાપના અંગે વનરાજ ચાપોત્કટે વિક્રમ સંવત 802માં અણહિલ્લ ગોવાળે પરીક્ષિત કરેલા પ્રદેશમાં લખારામ ગામના સ્થાન ઉપર અણહિલપુર પાટણ વસાવ્યું તેમ જણાવે છે. જયારે અણહિલપુર પાટણની સ્થાપના પછી આશરે સાડા પાંચસો વર્ષ પછી ઇ. સ. 1305માં આચાર્ય મેરૂતુંગાચાર્યએ વઢવાણ (જિ. સુરેન્દ્રનગર)માં રચેલા પ્રબંધચિંતામણી ગ્રંથમાં આ શહેરના સ્થાપક વનરાજ ચાવડાના મિત્ર અણહિલ્લને આભીર કે ગોપાળની જગ્યાએ ‘ભારૂયાડ’  કે "ભરવાડ "તરીકે વર્ણવેલો જોવા મળે છે.

આચાર્ય હેમચંદ્રસૂરિએ ઇસુની 12મી સદીની શરૂઆતમાં અણહિલ્લને આભીર, આચાર્ય જિનપ્રભસૂરિએ ઇ.સ. 1241માં અણહિલ્લને ગોવાળ અને ઇ.સ. 1305 આચાર્ય મેરૂતુંગાચાર્યએ તેને ભારૂઆડ તરીકે ઓળખાવ્યો છે.  આમ આભીર, ગોવાળ ,  ભરવાડ કે ભારૂયાડ અંગે સંશોધન થાય તો અનેક નવી જાણકારી મળે તેમ છે.

આમ આહીર અને ભરવાડ એક જ મગ ની બે ફાડ છે આહીર અને ભરવાડ સમય નો શિકાર બની અલગ પડેલી કોમ છે
આહીર અને ભરવાડ ના રંગ રુપ બાંધણી એક મેક ને મળતી આવે છે

લેખક :
- અમરૂભાઇ રેણુકા રાજુલા (Whatsapp)
- જયંતિભાઈ આહીર

3 comments:

Anonymous said...

સરસ માહિતી છે , પણ યાદવ અને આહિર અલંગ અલંગ છે.

મારા મતે આભીર લોકો એજ આહિર ગણાય આજ થી 3000 વર્ષ પૂર્વ ના માનવ શાસ્ત્ર પૂસ્તક માં પણ આભીરો ની ઉત્પતિ વર્ણવી છે.

હરિવંશ પૂરાણાનુસાર આ જાતિ ગૌપાલક હતી અને આનર્ત માં રહેતી હતી..

Unknown said...

Good Efforts, If possible and considering if scan copy of vahi book should be upload on you tube, or can be develop new paid app for enrol name online

Unknown said...

હા ભાઈ આપડો સમસ્ત માલઘારી સમાજ એક થય જાય તો
તો કોય ની તાકાત નથી કે કોય જોય સકે
જય ઠાકર જય મુરલીધર

Post a Comment

 
Design and Bloggerized by JMD Computer