Wednesday 28 February 2024

હિંદથી હલકટ ભગાવ્યા હશે.

 ખરે ટાણે ખુંખારને જગાવ્યા હશે.

તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


ગૌરવભર્યું સ્મિત કરીને.

રણક્ષેત્રની રીત ધરીને.

એણે શૂરા સમરાંગણ ચડાવ્યા હશે.

     તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


છાતીના ઘા ગણશું અમે.

ત્યાં પ્રીતના મહેલ ચણશું અમે.

એને લાડ લાલઘૂમ લડાવ્યા હશે.

      તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


કેસરવર્ણી આંખ કરીને.

તિલકચોખા ભાલ ભરીને.

એણે હસતાં મુખડે વળાવ્યા હશે.

     તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


માં ભોમ માટે લડવાનું હોય

મારવાનું હોય કાં મરવાનું હોય.

એણે પાઠ પ્રથમ ભણાવ્યાં હશે.

     તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


જરૂર પડી તો જાતને બાળી.

સામી પડી જય ભડવાને ભાળી.

ખુદ ખાંડા પકડી ખખડાવ્યા હશે.

     તય હિંદથી હલકટ હટાવ્યા હશે.


વીર પુરુષની વિધવા થૈ જઈશ.

ન ભાગેડુંની મને ભાર્યા કહીશ.

એણે શબ્દના શૂરાતન ચડાવ્યા હશે.

    તય હિંદથી હલકટ હટાવ્યા હશે.


છાતીના 'દેવ' સરખાં કરીશ.

પીઠના હશે 'ઘા' લાજે મરીશ.

એણે પથ્થરને પાણી પીવડાવ્યા હશે.

    તય હિંદથી હલકટ હટાવ્યા હશે.


દેવાયત ભમ્મર :-

Friday 20 October 2023

અણહિલવાડ પાટણનું પ્રાચીન શહેર જે ચાવડા વંશના પ્રથમ રાજા વનરાજ ચાવડા દ્વારા સ્થાપવામાં આવેલું હતું

અણહિલવાડ પાટણનું પ્રાચીન શહેર જે ચાવડા વંશના પ્રથમ રાજા વનરાજ ચાવડા દ્વારા સ્થાપવામાં આવેલું હતું. એવી દંતકથા છે કે, વનરાજ ચાવડાનો એક બચપણનો મિત્ર હતો જેનું નામ અણહિલ હતું. આ અણહિલ દ્વારા દર્શાવેલી જગ્યાએ વનરાજ ચાવડાએ પાયો સ્થાપ્યો હતો અને બચપણના મિત્ર અણહિલના નામ ઉપરથી શહેરનું નામ અણહિલવાડ રાખેલું હતું. ઇ.સ. ૭૪૬ થી ૧૪૧૧ સુધી એમ કુલ ૬૫૦ વર્ષો સુધી અનાહિલવાડા ગુજરાતની રાજધાની રહી હતી. અણહિલવાડ ઉપર ચાવડા, સોલંકી અને વાઘેલા વંશના રાજાઓએ શાસન કર્યુ હતું. સોલંકી શાસન હેઠળ ઇ.સ.૯૪૨ થી ૧૨૪૪ સુધી અનાહિલવાડા વેપાર, અલગ-અલગ હૂન્નર શીખવાનું કેન્દ્ર તેમજ સ્થાપત્ય સિદ્ઘિઓ તરીકે ઝળહળતું હતું. ૧૩મી સદીના અંતમાં વાઘેલા શાસન દરમિયાન અલાઉદીન ખિલજીના માર્ગદર્શનના આધારે ઉલુઘખાને આ શહેરને લુંટી તેનો સંપૂર્ણ નાશ કરી દીધો હતો.
તળાવ રાણીની વાવથી ૫૦૦ મીટરના અંતરે ઉત્તરમાં આવેલું છે. આ તળાવ ઇ.સ. ૧૦૮૪માં બંધાવેલું છે અને એ સમયે તે દુલર્ભ સરોવર તરીકે ઓળખાતું હતું. આ તળાવ રાજા સિદ્ઘરાજના પૂર્વજોએ બંધાવેલું છે એવું ઇતિહાસમાં નોંધ છે. તળાવમાં પાણી લઇ આવતી ચેનલ્સની બન્ને બાજુએ સમાંતર ૧૦૦૦ શિવલિંગ બનાવવામાં આવેલા છે, આ રચના ઉપરથી તળાવનું નામ સહસ્ત્રલિંગ તળાવ રાખવામાં આવેલું હતું.
રાજા સિદ્ઘરાજે આ તળાવની મહ_વતા સમજીને તેમના સમયમાં આ તળાવને ફરી સમારકામ કરાવીને જીવંત કરાવ્યું હતું. વર્ષ ૧૯૪૨-૪૩માં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન ૭ હેકટરમાં ફેલાયેલા અને ખંડેર થઇ ગયેલા આ તળાવનો ફકત ૨૦% ભાગ જ મળી આવ્યો છે બાકીનો ૮૦% ભાગ હજુ જમીનમાં ધરબાયેલો પડેલો છે. આ તળાવને ત્રણ વખત નાશ કરવામાં આવેલું છે. આમ છતાં પણ તેની ભવ્યતા હજુ અકબંધ છે. સહસ્ત્રલિંગ તળાવમાં પાણી સરસ્વતી નદીમાંથી લેવામાં આવે છે. સરસ્વતી નદી પાટણ શહેરની નજીકથી વહે છે. તળાવમાં પાણી લઇ આવવા માટે અટપટી ફિડીંગ ચેનલ્સ બનાવવામાં આવી છે જે ઇંટો અને પથ્થરોની બનેલી છે. આ વિવિધ ચેનલ્સનું જોડાણ તળાવ પાસે આવેલા ત્રણ ગોળાકાર સ્લૂઝ ગેટ સાથે કરવામાં આવેલું છે. આ રીતે ચેનલ્સ અને આ સ્લૂઝ ગેટ દ્વારા સરસ્વતી નદીનું પાણી તળાવમાં ઠાલવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ તળાવમાં કુદરતી ફિલ્ટ્રરેશન પ્લાન્ટ હતો.
સહસ્ત્રલિંગ તળાવના પશ્ચિમ કિનારે એક સિસ્ટર્ન-હોજ બનાવવામાં આવેલો છે જેને રૂદ્રકૃપા કહેવામાં આવે છે. સરસ્વતી નદીનું પાણી ચેનલ્સ દ્વારા આ રૂદ્રકૃપામાં આવે છે અને એ પછી તળાવની ઇનલેટ ચેનલ દ્વારા સહસ્ત્રલિંગ તળાવમાં છોડવામાં આવે છે. રૂદ્રકૃપાનો વ્યાસ આશરે ૪૦ મીટર જેટલો છે. એકદમ સપ્રમાણ અને સુંદર રીતે બનાવવામાં આવેલું રૂદ્રકૃપા એ સમયના લોકોની ઊંડી સુઝબૂઝની સાથે એક ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગનું ઉદાહરણ પૂરૂ પાડે છે. જોકે આજના સમયની સરખામણીમાં સહસ્ત્રલિંગ તળાવ એવડું મોટું તો નથી પણ તે સમયના રજવાડામાં પાણીના વિતરણ માટેની ઉત્તમ જળવ્યવસ્થાપન પદ્ઘતિ હશે એવું માનવામાં આવે છે.
સમયની સાથે-સાથે પાટણ ઉપર બીજા રજવાડા દ્વારા અનેક હુમલાઓ થયા અને આ હુમલાઓમાં આ તળાવને ઘણું જ નુકશાન પહોચાડવામાં આવેલું હતુ. આ હુમલાઓમાં આ તળાવને નુકશાન કરવામાં આવ્યું હતું જે સાબિત કરે છે કે, આ તળાવ જે-તે સમયે પાટણ માટે કેટલું અગત્યનું હતું. હાલમાં તળાવના પૂર્વ ભાગમાં, આવેલી પાળ પાસે એક શિવમંદિરના ૪૮ પિલરની સિરિઝ જોઇ શકાય છે. આ શિવમંદિર ૧૬મી સદી સુધી અખંડિત હતું એવું ઇતિહાસમાં નોંધવામાં આવેલું છે. ૧૬મી સદીમાં બૈરમખાન(અકબર બાદશાહના ગુરૂ)મક્કા જવા માટે નીકળ્યા હતા ત્યારે પાટણમાંથી થઇને ગયા હતા ત્યારે તેમણે આ તળાવની નોંધ કરી હતી. એવું કહેવામાં આવે છે કે, મક્કાથી પરત આવતાં તેમણે આ તળાવની વિશેષતાને સમજી હતી અને એ દરમિયાન તેમની હત્યા કરી દેવામાં આવી હતી. આથી મોગલોના ક્રોધનું નિશાન આ તળાવ બન્યું હતું.
સહસ્ત્રલિંગ તળાવ પાટણ માટે અનુપમ ભેંટ હતી. આ સરોવરને કિનારે અનેક દેવાલયો આવેલા હતાં. નગરજનો માટે આ સ્થળ વિહારધામ હતું. તળાવનું પાણી આખા શહેરને આપવામાં આવતું હતું અને વધારાનું પાણી ખેતીના ઉપયોગમાં લેવામાં આવતું હતું. દંતકથા પ્રમાણે પાટણમાં શ્રી અને સરસ્વતી બંનેનો વાસ હતો. પાટણની સીમાએ આવેલું સહસ્ત્રલિંગ તળાવ નગરજનો માટે પૂજાસ્થાન, વિદ્યાસ્થાન અને મનોવિનોદનું કેન્દ્ર હતું. તળાવના કિનારા પાસે રાજા સિદ્ઘરાજે વિદ્યામઠ બંધાવેલા હતા. આ વિદ્યામઠમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો રહેતાં હતા. આ વિદ્યામઠમાં તર્ક, લક્ષણ(વ્યાકરણ) અને સાહિત્ય એમ વિદ્યાત્રયીનો અને વિવિધ દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. ગુજરાતમાં હાલમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એકમાત્ર ચાંપાનેરનો સમાવેશ થયેલો છે. પાછલા વર્ષોમાં થયેલા પ્રયત્નો અને લોબીંગ બાદ ચાંપાનેરને હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરાવી શકાય છે. હવે ગુજરાતના પાટણ શહેરના જુના ભાગને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ વર્લ્ડ હેરિટેજ સાઇટની લાક્ષણિકતાઓ ધરાવે છે અને તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરવા વાજબી છે.

રાણકી વાવ is a world heritage site declared by UNESCO in 2014
લેખક :વિનીત કુંભારાણા

Friday 22 September 2023

સાફા અંગે રસપ્રદ માહિતી 🌹🌹

          (૧) રાજવી જયારે સાફો બાંધે ત્યારે તેનું છોગુ પગની પાનીએ સ્પશૅ કરતું હોવું જોઈએ. 
           (૨) તાલુકદાર કે ટીલાત સાફો બાંધે ત્યારે તેનું છોગુ ગોઠણથી નીચે હોવું જોઈએ. 
           (૩) ભાયાતો કે સમાજના અન્ય ભાઈઓ સાફો બાંધે ત્યારે તેનુ છોગુ ગોઠણથી ઉપર અને કમરથી નીચે હોવું જોઈએ. 
            (૪) રાજમાં કામ કરતા લોકો તેમજ ખવાસ, વાણંદ, સઈ, સુતાર વગેરેના સાફાનુ છોગુ કમરથી ઉપર હોવું જોઈએ. 
            (૫) રાજવી, તાલુકદાર, ટીલાત કે પછી સમાજના ભાયાતો ભાઈઓ જયારે ખરખરાના કામે જાય ત્યારે સફેદ સાફો અને છોગુ વાળેલું હોવું જોઈએ એટલે કે છોગાનો છેડો વાળીને સાફામાં ભરાવેલો હોવો જોઈએ. એવું કહેવાય છે કે ખરખરાના કામે જતી વ્યકિતને રામરામ ન કરાય માત્ર બે હાથ જોડી નમસ્તે કરી શકાય આ કારણસર છોગુ વાળેલું હોવું જોઈએ. 
          (૬) રાજા મહારાજાના સાફા જરિયન એટલે કે જરીવાળા ચમકતા હોવા જોઈએ. અન્ય ભાયાતો અને ભાઈઓના સાફા રેશમી હોય છે. વાણીયા વેપારીને સુતરાવ કોટનના સાફા હોય છે.
          (૭) દશનામી સાધુને ભગવો સાફો અને ફકિરને લીલો સાફો તેમજ મુસ્લીમોને ડબલ છોગાવાળો સાફો હોય છે.

         શુભપ્રસંગોમાં શુભ રંગના સાફા બાંધવામાં આવે છે તેમજ શોકના પ્રસંગે ગૂઢા રંગના કે મોટા ભાગે સફેદ સાફા બાંધવામાં આવે છે. રજવાડામાં એક એવો રિવાજ હતો કે રાજાની હયાતિમા રાજમાતાનુ અવસાન થાય તેવા શોકના પ્રસંગે બધા ખાખી રંગના સાફા બાંધે. રાજાના અવસાન પ્રસંગે બધા સફેદ સાફા બાંધે.
          જુના જમાનામાં તો ઉઘાડમથો અને શસ્ર વિનાનો ક્ષત્રિય સામે મળે તો તે અપશુકન ગણાતા. મહેમાનને ખુલ્લે માથે રામરામ ન કરાય. માથે સાફો કે પાઘડી બાંધેલ ન હોય તો ખંભે રાખેલ ફાળીયુ માથા પર રાખી પછી રામરામ કરવામાં આવે. ખંભે ફાળીયુ પણ ન હોય તો પોતાનો ડાબો હાથ પોતાના જ માથા ઉપર રાખી જમણા હાથથી મહેમાનને રામરામ કરવામાં આવે એવો રિવાજ આજે પણ અમુક ગામોમાં છે. સાફો કે પાઘડી એ સન્માન અને મોભાનું પ્રતિક છે. 
                 રાજાના નિવાસસ્થાન કરતા એટલે કે રાજમહેલ કરતા કોઈ પ્રજાજનનુ મકાન ઉંચુ ન હોવુ જોઈએ તેમજ રાજા કરતા પ્રજામાં કોઈ અમીર હોય તો પણ રાજા જ ધનવાન ગણાય કારણ કાળ-દુષ્કાળમાં રાજા જ પ્રજાને નિભાવે છે તેથી આવો મલાજો જાળવવાના આવા વણલખ્યા નિયમો હતા.આ બધી ઐતિહાસિક વાતો જુના જમાનાની છે. પણ એની પાછળ રહેલો ગૂઢાથૅ અતિ રસપ્રદ અને જાણવા લાયક હોય છે.

Thursday 3 August 2023

પાપ ક્યાં જાય છે?

શાસ્ત્ર માં બ્રાહ્મણ ભોજન અને બ્રાહ્મણ ને જ દાન-દક્ષિણા આપવાનો આદેશ કેમ કર્યો છે?

બ્રાહ્મણ જ્યારે આપના ઘરે ભોજન કરે છે ત્યારે સ્વયં નારાયણ આપને ત્યાં ભોજન કરે છે.. વિષ્ણુ સહસ્ર માં ભગવાન નુ એક નામ આવે છે બ્રહ્મવિદ્ બ્રાહ્મણો.. એટલે કે બ્રાહ્મણ પણ મારું જ હાલતુ ચાલતુ સ્વરૂપ છે... તો સમજો કે જ્યારે બ્રાહ્મણ આપના ઘરે ભોજન કરે છે એનો મતલબ સ્વયં નારાયણ આપના ઘરે ભોજન કરે છે... હવે નારાયણ જેના ઘરે ભોજન કરે એનાં પાપ કાંઈ શેષ રહે??? બ્રાહ્મણ જેના પણ ઘરે જમે એ વ્યક્તિ નુ પાપ જમે છે.. ત્યારે એ વ્યક્તિ પાપ મુક્ત થાય છે.. અને એ જ પાપ સંધ્યોપાસના દ્વારા બ્રાહ્મણ બાળી નાંખે છે.. 

દાન - દક્ષિણા પણ બ્રાહ્મણ ને જ કેમ આપવા માં આવે છે... દક્ષિણા પણ સ્વયં ભગવતી છે અને યજ્ઞ સ્વયં નારાયણ છે.. દાન કે દક્ષિણા આપી ને બ્રાહ્મણ ને તમે તમારા પાપ માંથી મુક્ત કરવા માટે બંધક બનાવો છો.. બ્રાહ્મણ પોતાના પુણ્ય બેલેન્સ દ્વારા ફક્ત સંકલ્પ માત્ર થી પાપમુક્ત કરાવી શકે છે.... બ્રાહ્મણ જ્યારે સંધ્યા કરે છે ત્યારે નિત્ય પોતાના પાપ ને બાળે છે.. જ્યારે તમે બ્રાહ્મણ ને સીધું આપો છો ત્યારે એ નવે નવ ગ્રહ તમારા પર રાજી થાય છે અને એમની સંપૂર્ણ કૃપા ઉતરે છે.. માટે જ પહેલા જ્યારે વાર તહેવાર માં આપણા વડવાઓ તેમની કમાણીનો અને ખેડૂતો પોતાનાં પાક નો પહેલો ભાગ બ્રાહ્મણ ને આપતાં...

આ છે એક બ્રહ્મવિદ્ સંધ્યોપાસનશીલ બ્રાહ્મણ ની તાકાત..
 
નમો બ્રહ્મણ્યદેવાય ગૌબ્રાહ્મણ હિતાય ચ..
જગત્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ..

સાક્ષાત્ ગોવિંદસ્વરૂપ એવાં ધરતી પર નાં દરેક ભુદેવો નાં ચરણો માં વંદન...- 🙏🏻

 જય અંબે

🌼🪷હર હર મહાદેવ🪷🌼મહાદેવ મહાદેવ🪷🪷🪷🙏🏻

Tuesday 1 August 2023

જવાબદાર કોણ : દીકરી કે???

તથ્ય પટેલ અત્યારે જોરદાર વિવાદમાં છે. રોજ નવા નવા રાઝ ખુલતા જાય છે અને તથ્યની નવી નવી પોલ પકડાતી જાય છે. એની ગાડીમાં ત્રણ છોકરીઓ હતી. એ પૈકીની એક છોકરી ગામડામાંથી આવે છે, પીજીમાં રહે છે અને મા-બાપને ઉલ્લુ બનાવી જલસા કરે છે. એવું મિડીયાના માધ્યમથી જાણી શકાયું અને ખુદ એનો બાપ પણ એવી કબુલાત કરે છે, કે મને એકટીવામાં જમવાનું કહી ગયેલી છોકરી જેગુઆર કારમાંથી પકડાય છે. ત્યારે આપણને સૌને આંચકો લાગે છે, કે આ શું..?? મધ્યમવર્ગીય પરિવારની દીકરી પીજીના નામે ક્યાંથી ક્યા પહોંચી ગઈ..!! સોશીયલ મિડીયામાં આ આખી ઘટના જોરદાર ટ્રોલ થઈ છે. 
પરંતુ અહીં પજવતો પ્રશ્ન એ છે કે દીકરીની આ મોકળાશ માટે જવાબદાર કોણ..?? 

આ ઘરઘરનો પ્રશ્ન છે. અને શહેરો મહાશહેરોમાં આવી હજારો છોકરીઓ ઘરથી દૂર પીજી કે રૂમ પર રહે છે. હું સારી કે સંસ્કારી છોકરીઓની વાત નથી કરતો. સારી છોકરી તો દુનિયાના કોઈ પણ ખૂણામાં રહે એને કોઈ તથ્ય લલચાવી શકતો નથી. પરંતુ સંસ્કારોનો અંચળો ઓઢીને ફરતી છોકરીઓની આ વાત છે. અને મોટાભાગે એમના જ પ્રશ્નો છે. હોસ્ટેલમાંથી બહુ રેર પ્રશ્નો બહાર આવતા હોય છે. 
હમણાં હમણાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓની પણ ફેશન ચાલે છે. અને કોઈક કોલેજમાં ઓનપેપર એડમીશન લઈ એક મોટો વર્ગ તૈયારીના નામે શહેરોમાં ધામા નાખે છે અને પછી ત્યાથી જ શરૂ થાય છે, તથ્યયાત્રા..! જેનો વિગતે અભ્યાસ કરવામાં આવે તો ખરેખર ઘણા તથ્યો બહાર આવે એમ છે..! 
માત્ર એકલા ગાંધીનગરમાં જ સારી-નરસી હજારો છોકરીઓ રહે છે. એમાંની પાસે પરીક્ષાની તૈયારીનું ખૂબ મોટું બહાનું છે. એટલે કોચીંગના નામે બહુ મોટી મોકળાશ મળી છે. સ્વતંત્રતા જ્યાં સુધી સંસ્કારોથી રક્ષિત છે ત્યાં સુધી વાંધો નથી આવતો. પરંતુ પૈસાની ખેંચતાણ, દેખાદેખી, લોંગ ડ્રાઈવ, મોલ-મોલાતો, રજવાડી કાફે અને સવિશેષ તો અધૂરી સમજણ પ્રગટે ત્યારે જ તથ્ય જેવા નબીરાઓની એન્ટ્રી થતી હોય છે. 
મા-બાપ બિચારા ગામડે કાળી મજુરી કરે અને દીકરીઓ તથ્ય જેવા ટપોરીઓ સાથે જલસા કરે. ત્યારે ખરેખર પીડા થાય છે. મારું તો સ્પષ્ટપણે માનવુ છે કે એક જાગૃત બાપે એની દીકરીના રૂમ પર વારંવાર ઓચિંતી રેડ પાડવી જોઈએ. અને જો દીકરી અવિશ્વાસની દલીલ પર ઉતરી આવે તો સ્પષ્ટ સંભળાવી દેવું જોઈએ : "બેટા, હું તારો બાપ છું. અને જ્યાં સુધી તું મારા ઘેર છે ત્યાં સુધી ચાકર અને ચોકીદાર બન્નેની જવાબદારી મારી છે અને રહેશે.." 
હું એવું નથી કહેતો કે બધી જ દીકરીઓ ખરાબ છે. તેમછતાંય આત્મસંતોષ માટે ગાળેગાળે ગાંધીનગર આંટા મારતા રહેવું અને શક્ય હોય તો હોટલો ચેક કરતા રહેવું. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે..! મારે શુંકામ કોઈની છોકરી સામે આંગળી કરવી જોઈએ..!! 

અને છેલ્લી એક કડવી વાત : મોટાભાગની સફળ થયેલી છોકરીઓ ગામડે ઘર પર રહીને જ ભણી છે. વિશ્વાસ ના આવતો હોય તો સચિવાલયમાં એકાદ આંટો મારી સફળ છોકરીઓના દર્શન કરી આવજો..
આનંદે આવશે અને અભિમાન પણ ઉતરી જશે..! 

આશા રાખું, 
ધરણીધર સૌને સદ્દબુદ્ધિ આપે. મને પણ અને તમને પણ..!!

Sunday 21 May 2023

શ્રીમાન શેઠશ્રી કેશવજી નાયક ના જીવન ની ઝરમર ઈતિહાસ

શ્રી શેત્રુંજય પર ટૂંક બંધાવનાર શ્રીમાન શેઠશ્રી કેશવજી નાયક ના જીવન ની ઝરમર ઈતિહાસ

૨૦૦ વર્ષ પહેલાં અબડાસાના લાખણિયા ગામમાં જન્મેલો અને કોઠારા ગામમાં રહેતો કેશવજી ૧૦ વર્ષનો હતો ત્યારે તેની વિધવા મા હિરબાઈમાએ ગરીબીથી કંટાળી પોતાના ભાઈ નેણશી સવાણી સાથે મુંબઈની વાટ પકડી. થોડા સમયમાં નેણશીબાપાએ મુંબઈમાં કપાસની પેઢી શરૂ કરી અને ભણવાની સાથે કેશવજીએ મામાની પેઢી પર નામુ લખી પોતાનું અને બાનું જીવન ચલાવવા ઢીંગલા (રૂપિયા) કમાવા લાગ્યો.

*એક દિવસ મામાના દીકરા જેવા જરીવાળાં કપડાં પહેરવાની જીદ લઈ બા પાસે પૈસા માગ્યા, પણ માંડ ઘર ચલાવતાં હિરબાઈમા પાસે જરીનાં કપડાં માટે પૈસા ક્યાંથી હોય? રિસાઈને કચવાતા મને કેશવજી મામાની પેઢી પર નામુ લખવા ગયો. ત્યાં કંઈક ભૂલ થતાં મામાએ ઠપકો આપ્યો અને આવેશમાં આવી નામાનાં ચોપડાં પર શાહી ઢોળીને પેઢીનાં પગથિયાં ઊતરી ગયો.*

_*કેશવજી હવે જાય તો જાય ક્યાં? બાનાં દુઃખો અને પોતાની અસહાયતાથી હારીને આપઘાત કરવા દરિયાકિનારે ગયો, પણ રે... નસીબ! દરિયામાં ઓટનો સમય હતો એટલે ભરતીની વાટ જોતાં-જોતાં રેતીપટ પર ઊંઘ આવી ગઈ. સવારના દેવજી ઝવેરી નામના એક ભાટિયા શેઠે તેને જગાડ્યો. ભાટિયા શેઠ માનતા કે તે પોતાના નામે વેપાર કરે છે તો નફો નથી મળતો. એટલે સવારે જે પહેલો માણસ મળે તેના નામે વેપાર કરવો. એટલે કેશવજીના નામે સોદો કરવાનું વિચારી બંદર પર નાંગરેલા વહાણમાં ભરાયેલી ખજૂરનો સોદો કરવા કેશવજીને મોકલ્યો. નિર્દોષ કિશોરવયના કેશવજીએ ખજૂરનો સોદો કર્યો અને બીજા દિવસે તો ખજૂર વેચાઈ પણ ગઈ! ભાટિયા શેઠને ૮૦૦૦નો નફો થયો. ભાગીદારીના રૂપિયા ૪૦૦૦ કેશવજીને મળ્યા. ૧૯૦ વર્ષ પહેલાંની ૪૦૦૦ની અધધધ કિંમત થાય.*_

*કિશોરવયે રૂપિયા ૪૦૦૦ની માતબર રકમ કમાવી કેશવજીએ વિધવા બાને સુખમાં ઝૂલતી કરી દેવાનો પુરુષાર્થ આદર્યો. નાની વયે સમાજના મહારથી સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો. એ સમયની પ્રથા પ્રમાણે તેમનાં ત્રણેક લગ્ન યોજાયાં હતાં. પચીસ વર્ષની ઉંમરે તો નેણશીમામાની રૂની પેઢીમાં ભાગીદાર બની પેઢીનો કારોબાર હાથમાં લઈ લીધો.*

*સાહસ અને દીર્ઘદૃષ્ટા કેશવજી શેઠે ચીનના હૉન્ગકૉન્ગ બંદર અને આફ્રિકાના કેટલાક દેશોમાં પોતાની પેઢીઓ સ્થાપી ત્યારે તેમની ઉંમર હતી૧@ માત્ર ૨૮ વર્ષની.*

_*એ સમયમાં વિલિયમ નિકલની કંપની રૂના વેપાર માટે સૌથી મોટી કંપની હતી. કંપનીના ભાગીદાર જ્હૉન ફેલેમિંગો સાથે યુવાન કેશવજી શેઠે મૈત્રી કેળવી મુકાદમીનું કામ મેળવી જબરદસ્ત આવક ઊભી કરી. ચાલીસેક વર્ષની ઉંમરે નેણશીમામા સાથે ભાગીદારી સમાપ્ત કરી પોતાના પુત્રના નામે નરસિંહ કેશવજીની કંપની શરૂ કરી મબલક સફળતા મેળવી. દશા ઓશવાળ જૈન જ્ઞાતિને સુવર્ણકાળમાં લઈ ગયા.*_

_*ઈસવી સન ૧૮૬૨માં અમેરિકામાં લડાઈ ફાટી નીકળતાં રૂના ભાવ આસમાને પહોંચી ગયા. કમાવી લેવાની લાલચથી લોકોએ ગાદલાં-ગોદડાંનું રૂ પણ કાઢી વેચી દીધું. એ વર્ષે કેશવજી શેઠની પેઢી પર પૈસાનો વરસાદ વરસ્યો. બીજા લોકોની આવકમાં પણ તેજી આવી અને જાણે નાનકડું મુંબઈ વેપારનું મસમોટું કેન્દ્ર બની ગયું. એ સમયે કેશવજી શેઠ અને બીજા મિત્રોને બૅન્કિંગ સિસ્ટમ ઊભી કરવાનો વિચાર આવ્યો. પરિણામે કેશવજી શેઠે ભારતમાં બૅન્કિંગની શરૂઆત કરી. બૅન્ક ઑફ ઇન્ડિયા લિમિટેડ, બૉમ્બે ટ્રેડિંગ ઍન્ડ બૅન્કિંગ અસોસિયેશન, ઈસ્ટ ઇન્ડિયા બૅન્ક લિમિટેડ, એલ્ફિન્સ્ટન લૅન્ડ ઍન્ડ પ્રેસ કંપની વગેરે શરૂ કરી ભારતમાં બૅન્કિંગનો પાયો નાખ્યો અને દેશમાં ઉદ્યોગો શરૂ કરવાનું વાતાવરણ રચ્યું.*_

*બૅન્કિંગની શરૂઆત પછી રૂની મોટામાં મોટી પેઢીના માલિક કેશવજી શેઠે મુંબઈમાં કાપડની મિલો શરૂ કરવાનું સ્વપ્ન જોયું. પરિણામે કેશવજી શેઠ અને પુત્ર નરસિંહે કેલિકો મિલ્સ, નરસિંહ સ્પિનિંગ મિલ્સ, પ્રિન્સ ઑફ વૅલ્થ, ઍલેક્ઝાન્ડ્રા, કોલાબા મિલ ઇત્યાદિની શરૂઆત કરી. પારસી સદ્ગૃહસ્થોની ભાગીદારીમાં પણ મિલ શરૂ કરી. પરિણામે મુંબઈએ વિકાસમાં હરણફાળ ભરી. અંગ્રેજોના સમયમાં મુંબઈનો વહીવટ સરકાર તરફથી નિમાયેલી જસ્ટિસ સમિતિ દ્વારા થતો. આ સમિતિમાં કેશવજી શેઠ તેમ જ તેમના દીકરા નરસિંહ શેઠ નિમાયા હતા.*

*કેશવજી શેઠે પોતાના મિલ-કામદારો માટે ગિરગાવમાં કેશવજી નાયક ચાલીઓ બાંધી કામદારોને વિનામૂલ્યે ઘર આપી ત્યાં વસાવ્યા. અંદાજે ૧૨૫ વર્ષ પહેલાં લોકમાન્ય ટિળકે સાર્વજનિક ગણપતિની સ્થાપના આ કેશવજી નાયક ચાલમાં કરી. ત્યાં આજે પણ દર વર્ષે સાર્વજનિક ગણપતિની સ્થાપના થાય છે. આજે મુંબઈના સૌથી જૂના ગણપતિ એટલે કેશવજી નાયક ચાલના ગણપતિ કહેવાય છે.*

*સમયને પારખી કેશવજી શેઠે મુંબઈમાં બહુ મોટી જમીનો ખરીદી જમીનદાર તરીકે પ્રખ્યાત થયા. ઉમરખાડી વિસ્તાર તેમની માલિકીનો હતો. આજે જે વિસ્તાર નરસિંઘપુરા તરીકે ઓળખાય છે એ નામ તેમના પુત્ર નરસિંહ પરથી પડ્યું છે. કચ્છી દશા ઓશવાલ જૈન જ્ઞાતિના આ સાહસવીર નિકલ કંપનીના ભાગીદાર હતા. એટલે ક્લેર બંદર, મસ્જિદ બંદર, કર્ણાક બંદર, એલ્ફિન્સ્ટન બંદર ઇત્યાદિ બંદરો તેમના હસ્તકે હતા.*

Thursday 11 May 2023

સવજીભાઈ ની લાઈબ્રેરી

ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં રહેતા સવજીભાઈ પટોળીયા ભણવામાં ખૂબ તેજસ્વી હતા. 1974-75-76 લાગ-લગાટ ત્રણ વર્ષ દુષ્કાળ પડવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ કથળી. તે સમયે સવજીભાઈ દેરડીની શેઠ હાઈસ્કુલમાં 8માં ધોરણમાં અભ્યાસ કરતા હતા. આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી પણ પરિવારની પરિસ્થિતિ જોતા કામે લાગવું પડે તેમ હતું એટલે ભણવાનું પડતું મુક્યું.

સવજીભાઈએ એ વખતે સંકલ્પ કર્યો કે મારે ભલે અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો પણ હું શાળાએ ગયા વગર પુસ્તકો વાંચીને આજીવન ભણતો રહીશ.  શરૂઆતમાં મુંબઇ અને ત્યારબાદ સુરતમાં હીરા ઘસવાનું કામ કર્યું. સુરતમાં લાઈબેરીના સભ્ય બનવા માટે ગયા ત્યારે ફોર્મમાં બે પ્રતિષ્ઠિત વ્યક્તિના સહી સિક્કા કરાવી લાવવાનું કહ્યું. હીરા ઘસવાનું કામ કરનારને તો બીજું કોણ ઓળખતું હોય ! સવજીભાઈએ નક્કી કર્યું કે લાઈબ્રેરીના સભ્ય બનવાને બદલે આપણી પોતાની જ લાઈબ્રેરી બનાવીએ. 

ઓછામાં ઓછા ખર્ચથી ઘર ચલાવે અને જે બચત થાય એમાંથી પુસ્તકો ખરીદે. પહેરવા માટેના કપડાં પણ નવા ખરીદવાના બદલે ગુજરી બજારમાંથી લઇ આવે અને એવી રીતે જે બચત થાય એમાંથી પુસ્તકો ખરીદે. પોતે વાંચે અને બીજાને વાંચવા માટે આપે. આજે સવજીભાઈ પાસે 3000થી વધુ પુસ્તકોની અંગત લાઈબ્રેરી છે.

સવજીભાઈ હાલમાં ધોરાજીમાં રહે છે. આંખોની ઝાંખપને લીધે હીરા ઘસવાનું છૂટી ગયું અને અત્યારે મજૂરી કરીને જીવનનિર્વાહ કરે છે પણ પુસ્તકપ્રેમ ઓછો નથી થયો. પુસ્તકો રાખવા માટે સારી જગ્યા પણ નથી પતરા વાળા મકાનમાં જુના પતરાના ડબા, અનાજ ભરવાની કોઠી વગેરેમાં જુના બધા પુસ્તકો અને સમાયિકોને જીવની જેમ સાચવીને રાખે છે. આર્થિક સંકડામણને લીધે એકવખત જમવાનું છોડી શકે પણ પુસ્તક ખરીદવાનું ન છોડી શકે એવા સવજીભાઈ એમ કહે છે કે 'માણસ વાંચે એટલે વિચારે અને વિચારોથી જ સમાજમાં પરિવર્તન આવે.

2013માં જ્યારે સવજીભાઈના માતાનું અવસાન થયું ત્યારે ખેતીની મોસમ ચાલતી હતી એટલે કોઈ હેરાન ન થાય એવા ઈરાદાથી માતાના અંતિમ સંસ્કારમાં કોઈને બોલાવ્યા જ નહીં. ગામના નજીકના જે લોકો સ્મશાનમાં હાજર હતા એ બધાને હાથ જોડીને કહ્યું કે 'મારા બા જીવતા હતા ત્યારે દીકરા તરીકે મારાથી થાય એ બધી જ સેવા કરી છે એટલે એમની વિદાય પછી હવે બીજી કોઈ જ પ્રકારની વિધિઓ કરવી નથી અને કોઈનો સમય બગાડવો નથી.' મરણોત્તર વિધિઓ પાછળ થતો બિનજરૂરી ખર્ચ બંધ કરીને સમાજને નવો રાહ ચીંધ્યો. પોતાની અંગત લાઈબ્રેરીને માતા જીવિબેન અને પિતા નાથાભાઇના નામ પરથી 'જીવનાથ પુસ્તકાલય' નામ આપીને માતા-પિતાને જ્ઞાનાંજલિ આપી.
ધોરાજીમાં સાવ સામાન્ય મકાનમાં રહેતા અને મજૂરી કામ કરતા આ જ્ઞાનપીપાસુ માણસ 'પુસ્તક તમારે દ્વાર' પ્રવૃત્તિ દ્વારા કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર તમને ગમતાં પુસ્તક તમારી ઘરે આપી જાય અને પુસ્તક વાંચી લો એટલે ઘરે આવીને પરત લઇ જાય. બે દિકરામાંથી એક દીકરો મનોદિવ્યાંગ છે આમ છતાં સવજીભાઈ એમ કહે છે કે હું મારા નિજાનંદમાં રહુ છું અને દીકરો એના નિજાનંદમાં રહે છે.

પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આજીવન ભણતા રહેવાના સંકલ્પને વળગીને જ્ઞાનની પરબ ચલાવતા આ મુઠ્ઠી ઉંચેરા માણસને વંદન.

દાદા પોતે સમાજ પ્રેમી છે નિષ્ઠાવાન છે ક્યારેય કોઈ પાસે એક રૂપિયો માગતા નથી અને લેવા પણ માગતા નથી પણ જો આટલા બધા સમાજવાદી હોય તો આપણી પણ ફરજ બને છે દાદાને કંઈક આપણે યથાશક્તિ પ્રમાણે આપી અને આ આપણો વારસો કંઈક યોગ્ય રીતે જળવાઈ રહે..

સવજીભાઈનો સંપર્ક નંબર 9824003768. તેઓ સાદો ફોન વાપરે છે.

સવાલ આવડત નો છે

અમદાવાદ માં કર્ણાવતી ક્લબ પાસે ચાય વાળો અર્ધો કલાક માં ૨૦ રૂપિયા ની એક એવી ૨૦૦ ચાય વેચે છે !! અર્ધી રાત્રે ત્યાં ૧૦૦ જણા ચા પીવા ઉભેલા હોય !!! આ જોઈ લાગે કે જો મોદીજી ની લારી આવી ચાલતી હોત તો પ્રધાનમન્ત્રી જ ન બનત !! 
વોટસપ પરથી 

જોકર કે ગાંઠિયા રથ નો ગાંઠિયા નો ધંધો લાખો માં છે !! નોકરિયાતો ને તો ફ્રસ્ટેશન આવી જાય એની કમાણી જોઈ ને !! 

બોડકદેવ રોડ પર એક ગોળા વાળો છે ત્યાં મિનિમમ ૬૦ રૂપિયા ને ૮૦૦ સુધી નો ગોળો મળે છે .રાત્રે ગાડીઓ ની લાઈન લાગે છે સાચે એ લોકો ના પૈસા નું પાણી કરે છે ને પોતે પાણી માંથી પૈસા બનાવે છે !!

આતો માત્ર ઉદાહરણ છે આવા દરેક એરિયા માં હશે ને દરેક નાના મોટા શહેર માં હશે ..હવે તમે તમારા સંતાન ને બોથરા આકાશ માં લાખો રૂપિયા આપી ૧૨ ધોરણ પછી ડોક્ટર એંજીનીઅર બનાવશો ને નોકરી નહીં મળે પ્રેકટીશ નહીં ચાલે ત્યારે આજ સમાજ એમ કહેશે કે આના કરતા તો ઓલો વડાપાંવ વાળો વધુ કમાય છે !! 

ભણતર ના ભાર થી કે નિષ્ફ્ળતા ના ડર થી આપઘાત કરતા યુવા ધન ને આવા ઉદાહરણો બતાવી ભણતર કરતા સાહસ, ધન્ધો, ક્વોલિટી પૈસા કમાવી આપે છે એ સમજાવવું રહ્યું !! 

અમારે ત્યાં એક ભાજીપાંવ વાળો રોજ હજારો પાડે છે પણ બોલવા માં વાતચીત માં આપણા ઉદ્ધત નેતાઓ વિચારકો કે ડોકટરો કરતા બહુ જ વિનમ્ર ..હવે નવેસર થી વિચારવા નો સમય છે !! ૬૦ વર્ષ ટીંગાઈ ને નોકરીઓ કરવી ..કે ભજીયા, ગોળા ,ચાય ની દુકાન કરી ૬૦ વર્ષ નું ૧૬ વર્ષ માં કમાઈ લેવું !! 

ભલે બધા નથી કમાતા પણ સવાલ આવડત નો છે .સંતાન ને કેમ પૈસા કમાવવા એ જાતે નક્કી કરવા દો .લારી હોય કે દુકાન ..લક્ષ્મી આવડત ને વરે છે .

Tuesday 24 May 2022

બારોટ લક્ષણ બાર - છપૈય | Batot Lakshan BAR - Chhapaiyee

જય માતાજી
રચયિતા:- કવિ જગદીશભાઈ બારોટ (મીતી) 
 

            (બારોટ લક્ષણ બાર) 
                      (છપૈય) 


બારોટ લક્ષણ બાર, 
                        પદ શ્રેષ્ઠ ધર પરિયાગતિ. 
બારોટ લક્ષણ બાર, 
                       કરે અમર નર કીરતી. 
બારોટ લક્ષણ બાર, 
                     સભાજીત ઔર ચતુરાઇ. 
બારોટ લક્ષણ બાર, 
                   પણ ખાતીર પ્રાણ દેઈ.
મન વચન અરૂ કર્મથી મજબુત, 
                    શારદ એ રટનાર છે. 
દાન લીયે રૂ દાન દીયે, 
                   બારોટ લક્ષણ બાર છે. 

******************************


નોંધ;-  બારોટમા આ બાર પ્રકાર ના લક્ષણો હોય છે. 


(૧) ઉચ્ચ પદ પર બેસવું. 
(૨) પરિયાગતિ પાળવી -બારોટ પણું કરવું. 
(૩) નરવિરો -જજમાનની કિર્તી કરવી. 
 (૪) સભાજીત હોવું. 
 (૫) ચતુરાઇ હોવી
 (૬)પણ માટે પ્રાણ આપવા (ત્રાગું કરવું)
(૭) મન અડગ હોવું.
(૮)વચનથી ચલીત ના થવું.
(૯) કર્મ શુધ્ધ હોવું. 
(૧૦) મા સરસ્વતી નું રટણ કરવું.
(૧૧) દાન લેવું. 
(૧૨) અને દાન દેવું. 
 

કવિ જગદીશભાઈ બારોટ (મીતી) 
ના જય માતાજી.

Friday 13 May 2022

ઇતિહાસ / પૃથ્વીરાજ ટ્રેલર: મહાન યોદ્ધાની યાદોને યાદ કરવા પ્રેક્ષકો ચોક્કસપણે થિયેટરોમાં પહોંચશે, અક્ષયકુમાર પાત્ર ભજવી રહ્યા છે. (Pruthvi Raj Film)

⚫   સમ્રાટ પૃથ્વીરાજ સિંહના રોલમાં અક્ષય કુમાર પાત્ર ભજવશે.

⚫ ફિલ્મમાં વિદેશી આક્રંતા મોહમ્મદ ગોરી સામે સમ્રાટ પુથ્વીરાજની જંગ બતાવવામાં આવશે.


ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત મહાન સદીના યોદ્ધાની ફિલ્મ 'પૃથ્વીરાજ'નું ટ્રેલર આવી ગયું છે. ફિલ્મની વાર્તા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની છે, જે 12મી સદીના ભારત પર વિદેશી શક્તિઓના હુમલાઓ અને તેના પ્રતિકાર સામે ઊભા રહેલા મહાન યોદ્ધાઓમાંના એક છે. પૃથ્વીરાજસિંહ દિલ્હીના સિંહાસન પર બેસનાર છેલ્લા હિંદુ શાસક હતા. અને આજે પણ ભારત તેના નામ સાથે સમ્રાટ ઉમેરીને જ બોલે છે. તેમના પછી, 1947 સુધી દિલ્હીની ગાદી પર વિદેશી મુધલોનો કબજો હતો. તેમાં કોઈ શંકા નથી કે પૃથ્વીરાજનું ટ્રેલર ભવ્ય અને જોવાલાયક છે. તે સાબિત કરવા માટે પૂરતું છે કે ફિલ્મ સંપૂર્ણપણે સિનેમા હોલના મૂડ અનુસાર બનાવવામાં આવી છે.


2.53 મિનિટના ટ્રેલરમાં ફિલ્મના તમામ મહત્વના પાત્રોને લેવામાં આવ્યા છે. અક્ષય કુમાર સમ્રાટ પૃથ્વીરાજના રોલમાં છે. જ્યારે સંયોગિતાના પાત્રમાં માનુષી છિલ્લર, ચંદ્રા બરદાઈની ભૂમિકામાં સોનુ સૂદ, કાકા કાન્હા તરીકે સંજય દત્ત, જયચંદ તરીકે આશુતોષ રાણા અને મોહમ્મદ ઘોરીના પાત્રમાં માનવ વિજ છે. ટ્રેલરમાં અક્ષય, માનુષી, સોનુ સૂદ, સંજય દત્તની મજબૂત હાજરી જોવા મળે છે.


અક્ષય અને સંજય દત્તના ડાયલોગ્સ ખૂબ જ શાર્પ છે. ઈતિહાસમાં પૃથ્વીરાજ ચૌહાણ જેવો કોઈ ધાર્મિક યોદ્ધા નથી. ઘોરીને હરાવવા છતાં, તેઓએ તેને જીવતો છોડી દીધો. ફિલ્મમાં અક્ષયના ઘણા સંવાદો પૃથ્વીરાજસિંહ જેવા જોવા મળ્યા છે. 12મી સદીમાં આ સંબંધે દેશના ઈતિહાસને નવો વળાંક આપ્યો. સંયોગિતા સાથેના પૃથ્વીરાજના સંબંધોને જયચંદ પચાવી ન શક્યા અને તેમણે પૃથ્વીરાજ અને દેશ સાથે દગો કર્યો. 


જોકે ફિલ્મમાં પૃથ્વીરાજના પ્રેમનો સંદર્ભ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મની મૂળ વાર્તા સમ્રાટ તરીકે પૃથ્વીરાજ અને વિધર્મી ધોરી મોહમ્મદ એલિયન ફોર્સ સાથેનો તેમનો ઉગ્ર સંઘર્ષ છે. માનવ કૌલે ઘોરીનું પાત્ર ભજવ્યું છે પરંતુ ટ્રેલરમાં તેના પાત્રને ધારદાર બનાવવામાં આવ્યું નથી.


દર્શકોને પૃથ્વીરાજ પાસેથી ઘણી આશાઓ છે. ભારતીય માનસમાં સમ્રાટની હાજરી અલગ છે. સેંકડો વર્ષ થવા છતાં દેશના દરેક બાળકના મનમાં પૃથ્વીરાજની કરુણા, ન્યાય, ધર્મ અને બહાદુરીની અગણિત ગાથાઓ છે. વાક્ય રચના સાહિત્યે પૃથ્વીરાજના જીવનની દરેક ક્ષણની નોંધ કરી છે અને તેમને પેઢીઓ સુધી ભારતીય ચેતનામાં જીવંત રાખવામાં ફાળો આપ્યો છે.


હવે જોવાનું રહ્યું કે, ફિલ્મમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ખરેખર સત્ય ઈતિહાસ રજૂ કરે છે કે પછી તેમના પાત્રો સાથે છેડછાડ કરે તે ફિલ્મ રિલીઝ થયા પછી દર્શકોને ખબર પડશે.


Source: http://hindusandeshgujarat.com/india/news/prithviraj-trailer:-audiences-will-definitely-reach-the-theaters-to-remember-the-memories-of-the-great-warrior,-akshay-kumar-is-playing-the-role./676

 
Design and Bloggerized by JMD Computer